ડાકોરમાં ભક્તિનો મહાસાગર : નવરંગ શણગારમાં શોભ્યા ઠાકોરજી

By: Nation Gujarat Team
02 Mar, 2026

ડાકોર,નડિયાદ : ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ડાકોરમાં ફાગણી પૂનમના મહાપર્વે ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાયો છે. રણછોડરાયજીના મંદિરમાં સેવકભાઈઓએ ઠાકોરજી સાથે નવરંગ ગુલાલથી હોળી રમી ભક્તોને ભક્તિના રંગે રંગ્યા હતા. પદયાત્રીઓના મનોરંજન માટે દિગ્ગજ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો અને વહીવટી તંત્રની ફૂડ સેફ્ટીની સજ્જતા વચ્ચે લાખો ભક્તોએ ‘જય રણછોડ’ના નાદ સાથે ડાકોરમાં ધામા નાખ્યા છે.

રવિવારે રેન્જ આઈજી સાથે ખેડા જિલ્લા પોલીસ વડા પણ ડાકોર પહોંચ્યા હતા. તેમની સાથે ડીવાયએસપી, એલસીબી સહિત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ પણ ડાકોરના ઠાકોરના આશીર્વાદ લીધા હતા. દર્શન બાદ અધિકારીઓએ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ડાકોરના ઠાકોરજી રવિવારે નવરંગે રંગાયા હતા. સવારે શણગાર ભોગ સમયે સેવકભાઈઓએ ભગવાન સાથે રંગોળી રમી હતી, જેના રંગે દર્શનાર્થીઓ પણ તરબોળ થયા હતા. રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ અને ખેડા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કલાકારોએ ‘દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે’ અને ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ’ જેવા ગીતોની પ્રસ્તુતિ કરી પદયાત્રીઓનો માર્ગનો થાક ઉતાર્યો હતો.

બીજી તરફ, અમદાવાદ અને મુંબઈથી આવતા પદયાત્રીઓનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે. મુંબઈથી આવેલા એક નવયુવાને શ્રદ્ધાપૂર્વક ઘૂંટણિયે ચાલીને રણછોડરાયજીના ચરણે શીશ ઝુકાવ્યું હતું. જોકે, આ વર્ષે બોર્ડની પરીક્ષાઓને કારણે ગત વર્ષની સરખામણીએ ભીડમાં થોડો ઘટાડો જણાયો છે, તેમ છતાં રવિવાર સુધીમાં એક લાખથી વધુ ભક્તો દર્શન કરી ચૂક્યા છે. મંદિર કમિટીએ દર્શનના સમયમાં વધારો કરતા ભક્તોને સરળતાથી દર્શનનો લાભ મળી રહ્યો છે. પદયાત્રીઓ માટે ઠેર-ઠેર ભંડારા અને વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે.


Related Posts

Load more